હોર્મુઝમાં જહાજ પર હુમલો: કંડલા જતાં જહાજ પર હુમલો
હોર્મુઝ જળસંધિ પાસે ગુજરાતના કંડલા પોર્ટ તરફ જતા થાઈ કાર્ગો જહાજ પર હુમલો, આગ ભભૂકી; 20 નાવિકોને બચાવાયા, 3 લાપતા
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે બુધવારે હોર્મુઝ જળસંધિ નજીક ભારત તરફ જઈ રહેલા થાઈ ધ્વજવાળા કાર્ગો જહાજ પર હુમલો થતા આંતરરાષ્ટ્રીય જહાજરાણામાં ચિંતા ફેલાઈ છે. Mayuree Naree નામનું આ બલ્ક કેરિયર સંયુક્ત આરબ અમીરાતના ખલીફા પોર્ટ પરથી નીકળી ગુજરાતના કંડલા પોર્ટ તરફ જઈ રહ્યું હતું ત્યારે અજ્ઞાત પ્રોજેક્ટાઈલથી નિશાન બનાવાયું હતું. હુમલા પછી જહાજમાં આગ લાગી અને ઘાટો કાળો ધુમાડો ઉઠતો જોવા મળ્યો.
થાઈ નૌસેનાના જણાવ્યા મુજબ જહાજ પર કુલ 23 નાવિકો સવાર હતા. ઓમાનની નૌસેનાએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને 20 નાવિકોને સુરક્ષિત બહાર કાઢ્યા, જ્યારે ત્રણ નાવિકો હજુ લાપતા હોવાનું જણાવાયું છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે. આ જહાજ લગભગ 178 મીટર લાંબું અને લગભગ 30,000 ટન ક્ષમતા ધરાવતું બલ્ક કેરિયર હોવાનું જણાવાયું છે. આ જહાજ થાઈ કંપની Precious Shipping PCLની માલિકી હેઠળ સંચાલિત થાય છે.
મેરિટાઈમ સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે હોર્મુઝ જળસંધિ નજીક ત્રણ વ્યાપારી જહાજો પર હુમલા થયા હોવાનું પણ અહેવાલ છે, જેમાંથી ઓછામાં ઓછું એક જહાજ આગની લપેટમાં આવ્યું હતું.
મધ્ય પૂર્વમાં વધતો તણાવ
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. 28 ફેબ્રુઆરીએ ઈઝરાયેલે ઈરાન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી, જેના જવાબમાં ઈરાને પણ પ્રતિહુમલા કર્યા છે. ઈરાનની સૈન્ય કમાન્ડે નિવેદન આપીને કહ્યું છે કે અમેરિકા, ઈઝરાયેલ અથવા તેમના સહયોગી દેશો સાથે જોડાયેલા જહાજોને હોર્મુઝ જળસંધિમાં “કાયદેસર નિશાન” માનવામાં આવશે. ઈરાને તો એ પણ ચેતવણી આપી છે કે હોર્મુઝમાંથી એક ટીપું પણ તેલ પસાર થવા દેવામાં નહીં આવે.
વૈશ્વિક તેલ પુરવઠા માટે મહત્વપૂર્ણ માર્ગ
હોર્મુઝ જળસંધિ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંનો એક છે. વિશ્વના લગભગ 20 ટકા તેલનું પરિવહન આ જળસંધિ મારફતે થાય છે. ઈરાન અને ઓમાન વચ્ચે આવેલા આ માર્ગનો સૌથી સાંકડો ભાગ માત્ર 33 કિલોમીટર પહોળો છે, જેના કારણે અહીંથી પસાર થતા જહાજો પર હુમલો કરવો સરળ બની શકે છે.
ભારત માટે ચિંતાજનક સ્થિતિ
હુમલાનો ભોગ બનેલું જહાજ ગુજરાતના કંડલા પોર્ટ તરફ આવી રહ્યું હતું, જેના કારણે ભારતીય વેપાર અને જહાજરાણાં ક્ષેત્રમાં પણ ચિંતા ઊભી થઈ છે. નિષ્ણાતોના મતે જો હોર્મુઝ જળસંધિમાં તણાવ વધુ વધશે તો તેલના ભાવમાં વધારો અને વૈશ્વિક વેપાર માર્ગોમાં અવરોધ ઉભા થઈ શકે છે.
