Gujarat Updates

પાલડીમાં AMTS બસમાં અચાનક આગ: એન્જિનમાંથી ધુમાડા બાદ ભભૂકી ઉઠી બસ

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં AMTSની બસમાં (AMTS Bus Fire) આગ લાગવાની ઘટના સામે આવી છે. લાલ દરવાજાથી બાવળા તરફ જતી AMTS રૂટ નંબર 35માં મહાલક્ષ્મી ચાર રસ્તા નજીક જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે અચાનક આગ લાગી હતી. સદભાગ્યે ડ્રાઈવર અને કંડક્ટરની સમયસર કામગીરીના કારણે બસમાં બેઠેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર ઉતારી દેવામાં આવ્યા હતા અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. માહિતી મુજબ, બસ પેસેન્જરોને લેવા માટે સ્ટોપ પર ઉભી રહી હતી ત્યારે બસના એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. ધુમાડો જોવા મળતા જ કંડક્ટરે તરત જ સતર્કતા દાખવી અને બસમાં બેઠેલા તમામ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી દીધા હતા. ત્યારબાદ ડ્રાઈવરે ઇગ્નિશન સ્વીચ તેમજ મેઈન સ્વીચ બંધ કરી દીધા હતા. જોકે, ધુમાડો વધતો જતા થોડા જ ક્ષણોમાં આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઈવર અને કંડક્ટરે બસમાં રહેલા ફાયર એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત પાછળથી આવી રહેલી અન્ય AMTS બસોમાંથી પણ ફાયર એક્સ્ટિંગ્વિશર લાવી આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. છતાં આગ નિયંત્રણમાં ન આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીસ (AFES)ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો જોરદાર મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આગના કારણે બસનો આગળનો ભાગ, એન્જિન વિભાગ, રૂફ સીલિંગ તેમજ આગળની લગભગ ચાર સીટો સળગી ગઈ હતી. આગની તીવ્રતા એટલી હતી કે બસનો મોટો ભાગ નુકસાન પામ્યો હતો.

સદભાગ્યે આ સમગ્ર ઘટનામાં કોઈ મુસાફર કે બસ સ્ટાફને ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાનિ થઈ નથી. ડ્રાઈવર અને કંડક્ટરની ઝડપી અને સમજદારીભરી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણ થતાં એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હાલ આગ લાગવાના ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Exit mobile version