સુરત જિલ્લાના બારડોલી નજીક મીંઢોળા નદીમાં બે યુવાન ડૂબ્યા
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉતારા ગામે આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. મીંઢોળા નદીમાં નાહવા પડેલા પાંચ યુવકો પૈકી બે યુવકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના મોત નીપજ્યા છે.આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, બે ગામના 10 મિત્રો સાથે મળીને ઉતારા ગામની મીંઢોળા નદીમાં નાહવા માટે ગયા હતા. નદીમાં નાહતી વખતે આ યુવાનો સાથે કરુણાંતિકા બની હતી. આ 10 લોકોમાંથી એક 15 વર્ષનો સગીર અને એક 19 વર્ષનો યુવાન મીંઢોળા નદીમાં નાહતા નાહતા ડૂબી ગયા હતા. ડૂબી જવાને કારણે આ બંને મિત્રોના મોત નીપજ્યા છે.ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ નદીના ઊંડા પાણીમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.પોલીસ તપાસમાં મૃતકોની ઓળખ લેખીરામ પ્રજાપતિ અને હર્ષ પરમાર તરીકે થઈ છે.
નદીમાં નાહવાની મજા સજામાં ફેરવાઈ
મળતી માહિતી અનુસાર, મિત્રોનું એક ટોળું ઉતારા ગામ પાસેથી પસાર થતી મીંઢોળા નદીમાં નાહવા માટે ગયું હતું. નદીમાં નાહતી વખતે પાંચ પૈકીના બે યુવકો અચાનક પાણીના ઊંડા પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા અને જોતજોતામાં ડૂબવા લાગ્યા હતા. સાથે રહેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બારડોલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
પરિવારમાં શોકનું મોજું
બે યુવકોના અકાળે અવસાનથી સમગ્રવિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને નદી કે નાળામાં અજાણ્યા સ્થળે પાણીમાં ન ઉતરવા માટે અવારનવાર અપીલ કરવામાં આવે છે, છતાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.
