યમુનામાં બોટ દુર્ઘટના
Vrindavan,10 એપ્રિલ 2026: યમુના નદીમાં આવેલ વૃંદાવન નજીક એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી જતા ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ લાપતા હોવાનું અનુમાન છે. આ ઘટના કેશીઘાટ અને શ્રૃંગાર ઘાટ નજીક બની હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ અને પ્રશાસન મુજબ, બોટમાં અંદાજે 25થી 30 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં 22 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા જ પોલીસ, સ્થાનિક ડાઇવરો અને NDRFની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી સતત ચાલુ છે અને લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે. પ્રશાસનનું કહેવું છે કે દરેક વ્યક્તિને શોધી કાઢવામાં આવે ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બોટ અચાનક સંતુલન ગુમાવી બેસી અને પલટી ગઈ, જેના કારણે લોકોને બચવાનો સમય પણ મળ્યો નહીં. નદીમાં પડેલા લોકો મદદ માટે બૂમો પાડતા હતા, ત્યારે સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા.
એસપી (ગ્રામીણ) સુરેશ ચંદ્ર રાવતે જણાવ્યું કે નજીકના પોન્ટૂન બ્રિજની મરામતનું કામ ચાલુ હતું અને આ અકસ્માત તેની સાથે સંકળાયેલ હોઈ શકે છે. હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારોને સંવેદના પાઠવી અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા તથા બચાવ કામગીરી તેજ કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ છે. લાપતા લોકોના પરિવારજનો ઘટના સ્થળે ચિંતિત હાલતમાં પોતાના સ્વજનોના સમાચારની રાહ જોઈ રહ્યા છે.
પ્રશાસન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને મૃતકોના પરિવારોને સહાય અને વળતર આપવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે તેવી શક્યતા છે.
www.gujaratupdates.com
