લશ્કર સહ-સ્થાપક અમીર હમઝા પર ગોળીબાર!
અજ્ઞાત ગનમેનોએ કર્યો લશ્કર નેતાને ટાર્ગેટ — હમઝા ગંભીર
16 April, 2026: પાકિસ્તાનના લાહોર શહેરમાં એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના સહ-સ્થાપક અને મુખ્ય વિચારક તરીકે ઓળખાતા અમીર હમઝા પર અજ્ઞાત હુમલાખોરોએ ગોળીબાર કર્યો છે. આ ઘટના એક સમાચાર ચેનલ ઓફિસની બહાર બની હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, હુમલા બાદ હમઝાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ “ક્રિટિકલ” હોવાનું જણાવાયું છે. ઘટનાના કારણે પાકિસ્તાનના સુરક્ષા તંત્રમાં હલચલ મચી ગઈ છે અને ઉચ્ચ સ્તરની તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટના શું બની?
વિવિધ મીડિયા અહેવાલો મુજબ, આ ઘટના લાહોરમાં એક મીડિયા હાઉસની બહાર બની હતી. અમીર હમઝા ત્યાં હાજર હતા ત્યારે અજ્ઞાત બંદૂકધારીઓએ અચાનક હુમલો કર્યો અને ગોળીબાર કર્યા બાદ ફરાર થઈ ગયા. હુમલા બાદ હમઝાને તાત્કાલિક રીતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સુરક્ષિત સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે, જ્યાં તેમને ઉચ્ચ સુરક્ષા આપવામાં આવી રહી છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા પણ આ ઘટનાની દેખરેખ રાખવામાં આવી રહી છે.
અમીર હમઝા કોણ છે?
અમિર હમઝા લશ્કર-એ-તૈયબા (LeT)ના સહ-સ્થાપકોમાંના એક માનવામાં આવે છે. તેઓ સંગઠનના મુખ્ય વિચારક, લેખક અને પ્રચાર તંત્રના મહત્વપૂર્ણ ચહેરા તરીકે ઓળખાય છે. શરૂઆતનો સમય હમઝા એક સમય અફઘાન મુજાહિદ્દીન આંદોલન સાથે જોડાયેલા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ ધાર્મિક-રાજકીય પ્રવચનો અને લેખન સાથે જોડાયા. પછી તેઓ હાફિઝ સઈદ* સાથે મળીને લશ્કર-એ-તૈયબાના સ્થાપનામાં જોડાયા. સંગઠનની વિચારધારા અને પ્રચારમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે સંગઠન માટે અનેક પ્રચાર પુસ્તકો અને લેખો લખ્યા, જેમાંથી કેટલાક નીચે મુજબ છે:
- Qafila Da’wat aur Shahadat (2002)
- Shahrah-e-Bahisht (The Road to Paradise)
આ પુસ્તકોને અનેક આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉગ્રવાદી વિચારધારાના પ્રચાર તરીકે ગણવામાં આવ્યા છે.
અમિર હમઝાએ લશ્કર-એ-તૈયબા માટે પ્રચાર માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ સંગઠનની મેગેઝિનના સ્થાપક સંપાદક રહ્યા હતા: “Majallah al-Daawa” આ મેગેઝિન દ્વારા સંગઠનની વિચારધારા અને ભરતી અભિયાનને આગળ ધપાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ અમીર હમઝાને પણ વૈશ્વિક આતંકવાદી તરીકે યાદીમાં મૂકવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ તે 2012માં વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા. સંગઠનના કેન્દ્રિય સમિતિમાં તેમની ભૂમિકા હતી. ફંડિંગ, ભરતી અને વાટાઘાટોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રતિબંધો બાદ તેમની આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓ પર ભારે નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું.
અહેવાલો મુજબ અમીર હમઝા લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા અનેક નેટવર્ક અને ચેરિટીઓ સાથે સંકળાયેલા હતા, જેમાં ખાસ કરીને: જમાત-ઉદ-દાવા (JuD) અને ફલાહ-એ-ઇન્સાનીયત ફાઉન્ડેશન (FIF)પાકિસ્તાન સરકાર દ્વારા 2018 બાદ આ સંગઠનો પર આર્થિક દબાણ અને પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા.
2018માં નાણાકીય દબાણ બાદ અમીર હમઝાએ લશ્કરથી દૂર થવાનો પ્રયાસ કર્યો હતો એવી માહિતી પણ વિવિધ અહેવાલોમાં મળે છે. ત્યારબાદ તેમણે એક નવા જૂથની સ્થાપના કરી હોવાનું જણાવાયું છે: જૈશ-એ-મનકાફા (Jaish-e-Manqafa). આ જૂથ અંગે દાવો કરવામાં આવે છે કે તે હજુ પણ કેટલીક ગતિવિધિઓમાં સક્રિય છે અને ખાસ કરીને જમ્મુ-કાશ્મીર સંબંધિત પ્રવૃત્તિઓ સાથે તેનું નામ જોડવામાં આવે છે.
હાલ સુધી હુમલાનું ચોક્કસ કારણ જાહેર થયું નથી. પરંતુ પાકિસ્તાની મીડિયામાં “અજ્ઞાત ગનમેન પેટર્ન” વિશે ચર્ચા ચાલી રહી છે, જેમાં અગાઉ પણ કેટલાક પ્રતિબંધિત અથવા વિવાદિત વ્યક્તિઓ પર હુમલાઓ થયા હોવાનું કહેવામાં આવે છે.
હમઝાની હાલત ગંભીર છે અને તેમને સખત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલ આસપાસ ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા પણ આ ઘટનાની દેખરેખ રાખવામાં આવી રહી છે.પાકિસ્તાન સરકાર દ્વારા આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ અથવા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
