દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ગોધરા-વડોદરા સ્ટ્રેચ ટ્રાફિક માટે ખુલ્લો
Baroda, 16 April 2026: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ગોધરા-વડોદરા વિભાગ પૂર્ણ થઈ ગયો છે અને 13 એપ્રિલ 2026થી વાહન વ્યવહાર માટે ટ્રાયલ ધોરણે ખુલ્લો મુકાયો છે.
ભારતમાલા પરિયોજના હેઠળ વિકસાવવામાં આવેલ આ એક્સપ્રેસવેનો નવો વિભાગ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા ભામૈયા ગામથી લઈને વડોદરા નજીક સાવલી તાલુકાના ડોડકા ગામ સુધી વિસ્તરેલો છે. આ 66 કિલોમીટર લાંબો, આઠ-લેન અને એક્સેસ-કન્ટ્રોલ્ડ હાઇવે છે, જે હાઈ-સ્પીડ મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
હાલમાં આ માર્ગ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યો છે અને સફળ ટ્રાયલ બાદ તેનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, હાલમાં આ માર્ગ પર કોઈ ટોલ વસૂલાત કરવામાં આવી રહી નથી, પરંતુ આવનારા સમયમાં ટોલ શરૂ થવાની શક્યતા છે. આ એક્સપ્રેસવે ગોધરા, કલોલ અને વડોદરા વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે, જેના કારણે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. ઉપરાંત, હાલના નેશનલ હાઇવે પરનો ટ્રાફિક દબાણ પણ ઘટાડવામાં મદદ મળશે.
આ પ્રોજેક્ટ ગુજરાતના મુખ્ય શહેરી તેમજ ઔદ્યોગિક વિસ્તારોને વધુ સારી રીતે જોડશે, જેના કારણે પ્રાદેશિક આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે. વેપાર, લોજિસ્ટિક્સ અને સ્થાનિક વ્યવસાયોને પણ આથી મોટો ફાયદો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરક્ષા દૃષ્ટિએ મહત્વપૂર્ણ નિર્ણય રૂપે, એક્સપ્રેસવે પર ધીમી ગતિના વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આથી હાઈ-સ્પીડ મુસાફરી માટેના નિયમોનું પાલન સુનિશ્ચિત થશે.
ઉલ્લેખનીય છે કે આ વિભાગ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસવે સાથે પણ જોડાશે, જે સમગ્ર માર્ગ નેટવર્કને વધુ સુવ્યવસ્થિત બનાવશે. આગળ જઈને આ માર્ગ મધ્યપ્રદેશ તરફની મુસાફરીને પણ વધુ સરળ બનાવશે.
