પાકિસ્તાનના ક્વેટામાં ભયાનક આત્મઘાતી હુમલો
બલૂચિસ્તાન ફરી લોહીલુહાણ: ક્વેટામાં જાફર એક્સપ્રેસ નજીક વિસ્ફોટ
24 May 2026 Gujarat Updates Team: પાકિસ્તાનના અશાંત ગણાતા બલૂચિસ્તાન પ્રાંતમાંથી ફરી એકવાર આતંક અને વિનાશની દુખદ ઘટના સામે આવી છે. રવિવારે વહેલી સવારે ક્વેટાના ચમન ફાટક વિસ્તારમાં થયેલા ભયંકર બોમ્બ વિસ્ફોટે સમગ્ર વિસ્તારને કંપાવી નાખ્યો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, હુમલાખોરોએ કેન્ટોનમેન્ટ વિસ્તાર પાસેથી પસાર થઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવી રેલવે ટ્રેક નજીક શક્તિશાળી વિસ્ફોટ કર્યો હતો. સ્થાનિક મીડિયા મુજબ આ હુમલો આત્મઘાતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ હુમલામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 23 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે 53થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. અનેક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પાકિસ્તાની સત્તાવાળાઓ તરફથી હજુ સુધી સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
સેનાના જવાનોને લઈ જતી ટ્રેનને બનાવાયું નિશાન
મળતી માહિતી અનુસાર, ક્વેટા કેન્ટોનમેન્ટથી લશ્કરી કર્મચારીઓને લઈ જઈ રહેલી ‘જાફર એક્સપ્રેસ’ ટ્રેન પર આત્મઘાતી હુમલો થયો હતો. ટ્રેન ચમન ગેટ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેક પાસે ઉભેલા હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ટ્રેનની એક બોગી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ધડાકાના પ્રચંડ આંચકાથી કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને બાદમાં ટ્રેનમાં આગ લાગી હતી. ઘટનાસ્થળ પરથી ઉઠતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.
વિસ્ફોટ બાદ વિસ્તારમાં ગોળીબારના અવાજો સંભળાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આસપાસ ઉભેલા અનેક વાહનોમાં પણ આગ લાગી હતી, જેના કારણે ભારે નુકસાન થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.
ફ્રન્ટિયર કોર હેડક્વાર્ટર નજીક હુમલો
પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા માટે આ હુમલો ગંભીર પડકાર સમાન માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વિસ્ફોટ ફ્રન્ટિયર કોર (FC)ના હેડક્વાર્ટરના પ્રવેશદ્વાર નજીક થયો હોવાને કારણે સુરક્ષા એજન્સીઓની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આતંકીઓ આટલો મોટો હુમલો કરવામાં કેવી રીતે સફળ રહ્યા તે મુદ્દે પણ ચર્ચા તેજ બની છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર શરૂઆતમાં વિસ્ફોટની સાચી પ્રકૃતિ અંગે સ્પષ્ટતા થઈ શકી નહોતી. તપાસ ટીમો આત્મઘાતી હુમલો, IED બ્લાસ્ટ અથવા અન્ય કોઈ શક્તિશાળી વિસ્ફોટક સામગ્રીના ઉપયોગ સહિતના તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે. ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્રિત કરી ફોરેન્સિક વિશ્લેષણ પણ શરૂ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ક્વેટાની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર
વિસ્ફોટની જાણ થતા જ બચાવદળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સુરક્ષા ટીમોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ક્વેટા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
હોસ્પિટલ પ્રશાસને તમામ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને તાત્કાલિક ફરજ પર હાજર રહેવા સૂચના આપી હતી. અનેક ઘાયલોની હાલત નાજુક હોવાનું જાણવા મળતાં સારવાર માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બીજી તરફ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી રહી છે અને સુરક્ષા દળો સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસમાં જોડાયા છે.
જાફર એક્સપ્રેસ સેવા તાત્કાલિક સ્થગિત
વિસ્ફોટ બાદ સુરક્ષાના કારણોસર જાફર એક્સપ્રેસની સેવા તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી હતી. ક્વેટાથી પેશાવર જતી આ મહત્વપૂર્ણ ટ્રેનને સ્ટેશન પર જ રોકી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા રેલવે અધિકારીઓએ ટ્રેક અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ શરૂ કર્યું છે.
અહેવાલો મુજબ વિસ્ફોટના કારણે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ હાથ ધરી છે, જ્યારે રેલવે વિભાગ દ્વારા ટ્રેકની મરામત અને સુરક્ષા ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
બલૂચિસ્તાનમાં સતત વધી રહેલો આતંક
બલૂચિસ્તાન છેલ્લા ઘણા વર્ષોથી આતંકી હુમલા અને વિદ્રોહી પ્રવૃત્તિઓ માટે જાણીતું રહ્યું છે. અલગાવવાદી સંગઠનો પાકિસ્તાની સરકાર સામે સતત હુમલાઓ કરતા રહ્યા છે. ખાસ કરીને રેલવે લાઇન અને ટ્રેનોને નિશાન બનાવવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે.
અગાઉ પણ Quetta રેલવે સ્ટેશન અને જાફર એક્સપ્રેસ પર હુમલાની ઘટનાઓ બની ચૂકી છે. 2024માં ક્વેટા રેલવે સ્ટેશન પર થયેલા આત્મઘાતી હુમલામાં 24થી વધુ લોકોનાં મોત થયા હતા.
તાજેતરના મહિનાઓમાં બલૂચિસ્તાનમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અનેક હુમલાઓ નોંધાયા છે. અલગાવવાદી સંગઠનો પાકિસ્તાની સરકાર અને સુરક્ષા દળો સામે સતત હુમલાઓ કરી રહ્યા છે.
પાકિસ્તાન સરકાર એલર્ટ મોડ પર
ઘટના બાદ પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. સમગ્ર ક્વેટા શહેરમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે.બલૂચિસ્તાન સરકારના પ્રવક્તાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને ઘટનાસ્થળ નજીક ભીડ ન કરવા અપીલ કરી છે. તપાસ એજન્સીઓ દ્વારા ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા
આ હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બલૂચિસ્તાનમાં સતત વધી રહેલી અસ્થિરતા પાકિસ્તાન માટે મોટો પડકાર બની રહી છે. ખાસ કરીને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) જેવા પ્રોજેક્ટ્સ માટે પણ આ પ્રકારના હુમલા ચિંતાજનક માનવામાં આવે છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે બલૂચિસ્તાનમાં વધતા આતંકવાદ અને અલગાવવાદી પ્રવૃત્તિઓ પાકિસ્તાન સરકાર માટે લાંબા ગાળાનો મોટો સુરક્ષા સંકટ બની શકે છે.
હાલ સમગ્ર દેશની નજર ક્વેટાની આ દુર્ઘટના પર ટકેલી છે અને લોકો ઘાયલોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ હવે આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તે શોધવા માટે ઝડપી તપાસ ચલાવી રહી છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ પણ વાંચો :
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
