ગુજરાતમુખ્ય સમાચાર

દાઉદ ઈબ્રાહીમના ઘરે શું કાવતરું ઘડાયું હતું ?

જામનગર TADA કોર્ટમાં 1993 કેસનો ઐતિહાસિક ચુકાદો! પાકિસ્તાન કનેક્શનનો મોટો ખુલાસો

Jamnagar 05 May 2026 Gujarat Updates Team: મુંબઈ સીરિયલ બ્લાસ્ટ સાથે જોડાયેલા 1993ના હથિયાર સ્મગલિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ TADA અદાલતે 33 વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપતાં 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આ કેસ ગુજરાતના ગોસાબારા દરિયાકાંઠે ઉતારવામાં આવેલા આરડીએક્સ અને ઘાતક હથિયારોના જથ્થા સાથે સંબંધિત છે, જેને બાદમાં દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવ્યા હતા.

ન્યાયાધીશ આર.પી. મોગેરાએ આપેલા આ ચુકાદામાં 10 આરોપીઓને 5 વર્ષની સખત કેદ તથા રૂ. 5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે 2 આરોપીઓને 7 વર્ષની સખત કેદ તથા રૂ. 8,000નો દંડ ફરમાવવામાં આવ્યો છે.

આ કેસમાં કુલ 29 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી, જેમાંથી 12ને દોષિત ઠેરવાયા અને 17ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. અગાઉ 46 આરોપીઓમાંથી 11નાં કેસ દરમ્યાન મોત થયા હતા અને 6ને સુપ્રીમ કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

દોષિત જાહેર કરાયેલા આરોપીઓનાં નામ
ઓસ્માણ ઉમર કોરેજા, મામદ અલીમામદ, હારૂન આદમ સંધાર, એહમદ ઇસ્માઇલ ઓલિયા, આરિફ લંબુ મેમણ, ઇફ્તેખાર અંસારી, મહંમદ અયુબ ઉર્ફે અયુબ ટકલો, લખમણ હરદાસ આહીર, સલીમ કુત્તા, મમુમીયા પંજુમીયા, ઇસ્તીયાક અંસારી અને કદીર અહેમદ શેખ.

ભાગેડુ જાહેર કરાયેલા આરોપીઓ
TADA અધિનિયમની કલમ 8(3)(A) હેઠળ દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ (ઇબ્રાહિમ અબ્દુલ રઝાક), અનીશ ઇબ્રાહિમ કાસ્કર, છોટા શકીલ અને અનવર સાંબા સહિતના આરોપીઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ પાકિસ્તાન અથવા યુએઈમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય કાવતરાનો ખુલાસો
પ્રોસિક્યુશન મુજબ, આ કાવતરું દુબઈમાં ઘડાયું હતું અને તેમાં પાકિસ્તાનની મરીન સિક્યુરિટી એજન્સી તથા સૈન્ય અધિકારીઓની સંડોવણી હતી. બાબરી મસ્જિદ વિધ્વંસ પછી દેશમાં અશાંતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ હતો.

દાઉદ ઈબ્રાહીમના ઘરે ઘડાયું હતું કાવતરું
પ્રોસીક્યુશન પક્ષ તે સાબિત કરવામાં સફળ રહ્યો હતો કે દુબઈમાં દાઉદ ઈબ્રાહીમના ઘરે આ કાવતરું ઘડાયું હતું અને પાકિસ્તાનની મદદથી તેને અંજામ આપવામાં આવ્યો હતો. તપાસ મુજબ, સમગ્ર ઓપરેશન આંતરરાષ્ટ્રીય સ્તરે સુનિયોજિત રીતે અમલમાં મૂકાયું હતું.‘સદા અલ બહાર’ નામની બોટ મારફતે કરાંચી નજીકથી આરડીએક્સ, ગ્રેનેડ, રાઇફલ્સ સહિત લગભગ 150 હથિયારો લાવવામાં આવ્યા હતા. બાદમાં ગોસાબારા દરિયાકાંઠે આ જથ્થો ઉતારીને સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશ સહિતના વિસ્તારોમાં મોકલાયો હતો. જામનગર અને કચ્છના કેટલાક સ્થાનિક લોકો આ સમગ્ર સ્મગલિંગ ચેઇનમાં મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરતા હતા. તેમની મદદથી આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજન કરાયેલ કાવતરું સફળતાપૂર્વક અમલમાં મૂકાયું હતું.

લાંબી તપાસ અને સાક્ષીઓનો આધાર
1993માં શરૂ થયેલી તપાસ 2018 સુધી ચાલી હતી. કુલ 63 સાક્ષીઓના નિવેદનો અને પુરાવાઓના આધારે કોર્ટએ આ નિર્ણય આપ્યો. તપાસ અધિકારીઓએ વર્ષો સુધી સતત મહેનત કરીને કેસને મજબૂત બનાવ્યો હતો.

ચુકાદાનો મહત્વ
આ ચુકાદો આતંકવાદી પ્રવૃત્તિઓ સામેની લડતમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ત્રણ દાયકાથી વધુ સમય બાદ મળેલી આ કાનૂની જીત તપાસ એજન્સીઓ અને ન્યાયવ્યવસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.