અમદાવાદ એરપોર્ટ પર મોટો ફેરફાર: Air India હવે સંપૂર્ણપણે ટર્મિનલ-2 પરથી ઉડાન ભરશે
Ahmedabad, Gujarat 28 March 2026 : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એર ઇન્ડિયા (Air India) ના મુસાફરો માટે મહત્વપૂર્ણ બદલાવ જાહેર કરવામાં આવ્યો છે. એર ઇન્ડિયા (Air India)એ જાહેરાત કરી છે કે 29 માર્ચ 2026થી તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ટર્મિનલ-1માંથી ખસેડીને ટર્મિનલ-2માંથી સંચાલિત કરવામાં આવશે.
આ બદલાવ બાદ એર ઇન્ડિયા (Air India) ની અંદાજે 210 સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઇટ્સ હવે ટર્મિનલ-2 પરથી જ ઉડાન ભરી અને ઉતરશે. નોંધનીય છે કે એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પહેલાથી જ ટર્મિનલ-2 પરથી સંચાલિત થઈ રહી છે. આથી હવે તમામ ફ્લાઇટ ઓપરેશન્સ એક જ ટર્મિનલ હેઠળ આવતાં મુસાફરોને વધુ સરળતા અને ઝડપી કનેક્ટિવિટી મળશે.
એર ઇન્ડિયા (Air India) ના જણાવ્યા મુજબ, ટર્મિનલ-2માં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. લગભગ 49,000 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલ આ ટર્મિનલમાં 52 ચેક-ઇન કાઉન્ટર્સ, સેલ્ફ બેગેજ ડ્રોપ કિયોસ્ક, ડિજીયાત્રા સુવિધા, ઇમિગ્રેશન કાઉન્ટર્સ અને ફાસ્ટ ટ્રેક ઇ-ગેટ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત મુસાફરો માટે વિવિધ રિટેલ અને ખાણીપીણીની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
એર ઇન્ડિયાએ મુસાફરોને SMS અને ઈમેલ દ્વારા આ બદલાવ અંગે જાણ કરવાનું શરૂ કરી દીધું છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ એરપોર્ટ જવા પહેલાં પોતાના ટિકિટમાં દર્શાવેલ ટર્મિનલની માહિતી ચકાસી લે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકાય. આ પગલું મુસાફરોના પ્રવાસને વધુ સુગમ અને આરામદાયક બનાવવા માટે લેવામાં આવ્યું હોવાનું એર ઇન્ડિયા (Air India)એ જણાવ્યું છે.
