વાનર પ્રત્યે દયા હવે પડી શકે મોંઘી!
Ahmedabad, Gujarat 04 April, 2025 Gujarat Updates Team : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વન વિભાગે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં નાગરિકોને વન્ય પ્રાણીઓને ખવડાવવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને હનુમાન લંગુર (વાનર)ને ખોરાક આપવો હવે કાયદેસર ગુનો ગણાશે અને તેના માટે કડક સજા નક્કી કરવામાં આવી છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે વન્ય પ્રાણીઓને ખવડાવવું માત્ર બેદરકારીપૂર્ણ વર્તન જ નથી, પરંતુ તે તેમની સ્વાભાવિક જીવનશૈલી અને પર્યાવરણના સંતુલનને પણ ખલેલ પહોંચાડે છે. માનવ હસ્તક્ષેપના કારણે વાનરોમાં આક્રમકતા વધે છે, જેના કારણે શહેરોમાં હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં અમદાવાદમાં વાનરોના હુમલાના બનાવોમાં સતત વધારો નોંધાયો છે, જેના પગલે વન વિભાગે આ કડક પગલું ભર્યું છે. વાનરને ખાવાનું આપવું વન્યજીવ અધિનિયમ 2 (Wildlife Protection Act, 1972 – Schedule II) મુજબ ગુનો ગણાય છે. હનુમાન લંગુરને કાયદા હેઠળ સુરક્ષિત પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે, અને તેને કોઈપણ પ્રકારનું ખાવાનું આપવું કાયદા વિરુદ્ધ ગણાશે.આ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ત્રણ વર્ષ સુધીની જેલ સજા અને ઓછામાં ઓછો ₹25,000 નો દંડ થઈ શકે છે.
વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ વન્યજીવો સાથે સુરક્ષિત અંતર જાળવે અને આવી પ્રવૃત્તિઓથી દૂર રહે. જો કોઈ વ્યક્તિ વાનરોને ખવડાવતો જોવા મળે, તો તેની જાણ તાત્કાલિક વન વિભાગને કરવી જોઈએ.
વધુ માહિતી માટે નાગરિકો વન વિભાગની હેલ્પલાઇન 8320002000 પર સંપર્ક કરી શકે છે અથવા સત્તાવાર વેબસાઇટ http://forests.gujarat.gov.in. ની મુલાકાત લઈ શકે છે.
