જાણો ઉમરેઠમાં કેટલા % વોટિંગ થયું ?
Umerath , Gujarat 23 April 2026: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં કુલ 59.03 ટકા મતદાન નોંધાયું હોવાનું સત્તાવાર આંકડાઓ મુજબ જાણવા મળે છે. શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જેમાં યુવાનો, મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
કોંગ્રેસ ઉમેદવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ મહત્વપૂર્ણ બેઠક માટે અનુભવી નેતા ભૃગુરાજસિંહ ચૌહાણ ને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. ભૃગુરાજસિંહ ચૌહાણ સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા નેતા છે. તેઓ અગાઉ સતત ત્રણ કાર્યકાળ સુધી ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. ઉપરાંત, તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પણ વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર કાર્યરત રહ્યા છે. પક્ષે તેમના અનુભવ અને સ્થાનિક લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેમને ટિકિટ આપી છે.
ભાજપનો વારસાગત દાવ
બીજી તરફ, ભાજપે હર્ષદ પરમાર પર વિશ્વાસ મૂક્યો છે, જે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ના પુત્ર છે. ગોવિંદભાઈ પરમારના અચાનક હાર્ટ એટેકથી અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના કારણે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. ભાજપે સહાનુભૂતિ લહેર અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને હર્ષદ પરમારને તક આપી છે. તેઓ હાલમાં ચીખોદરા ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે.
ચૂંટણી દરમિયાન સુરક્ષાના કડક બંદોબસ્ત સાથે તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગરમી હોવા છતાં મતદારોમાં લોકશાહી પ્રત્યેની જાગૃતિ સ્પષ્ટપણે જોવા મળી હતી.
હવે તમામની નજર મતગણતરી પર છે, જે 4 મેના રોજ યોજાશે. આ દિવસે મતપેટીઓ ખોલવામાં આવશે અને ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય થશે. રાજકીય પક્ષો તથા ઉમેદવારોમાં આતુરતા સાથે પરિણામની રાહ જોવામાં આવી રહી છે.
આ પેટા ચૂંટણીના પરિણામો વિસ્તારના રાજકીય સમીકરણોને અસર કરી શકે છે, જેના કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે. મતગણતરીના દિવસે રસપ્રદ સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
www,gujaratupdates.com
