Breaking News: 25 કરોડના સોનાની લૂંટ!”
રાજકોટથી ડિલિવરી માટે ગયેલા પ્રતિષ્ઠિત પેઢીના બે કર્મચારીઓ બન્યા લૂંટના શિકાર!
Rajkot 06 April, 2026: Gujaratupdates Team: બિહારમાં દિવસે દિવસે બગડતી કાયદો-વ્યવસ્થાની વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રાજકોટના જાણીતા જ્વેલરી વેપારીની પેઢીનું આશરે ₹25 કરોડનું સોનું લૂંટાઈ ગયું છે. આ ઘટનાએ માત્ર વેપારીઓમાં જ નહીં પરંતુ સમગ્ર વેપાર જગતમાં ભયનો માહોલ ઊભો કર્યો છે.
કસ્ટમ અધિકારી બનીને ફિલ્મી સ્ટાઈલમાં લૂંટ
માહિતી મુજબ, રાજકોટની પ્રતિષ્ઠિત પેઢીના બે કર્મચારીઓ—મહેશ મામતોરા અને પ્રિન્સ રાણપરિયા—લગભગ 17 કિલો સોનાના દાગીનાં લઈને બિહાર ડિલિવરી માટે ગયા હતા. તેઓ દાનાપુર રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ, ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક 7 થી 8 શખ્સોએ તેમને ઘેરી લીધા. ખાખી પેન્ટ અને સફેદ શર્ટમાં આવેલા આ શખ્સોએ પોતાને “કસ્ટમ અધિકારી” તરીકે ઓળખાવી તપાસ શરૂ કરી. વિશ્વાસમાં લઇને તેમણે બંને કર્મચારીઓને કારમાં બેસાડ્યા અને બાદમાં અપહરણ કરીને નિર્જન સ્થળે લઈ ગયા.લૂંટારુઓએ તપાસના બહાને સોનાથી ભરેલી ત્રણ બેગ કબ્જે કરી લીધી અને બંને કર્મચારીઓને રસ્તામાં ઉતારી પળવારમાં ફરાર થઈ ગયા. આ લૂંટનું મૂલ્ય અંદાજે ₹25 કરોડ ગણવામાં આવે છે. ઘટનાથી ગભરાયેલા કર્મચારીઓએ તરત જ માલિક અને પોલીસને જાણ કરી, જેના પગલે રાજકોટ સોની બજારમાં પણ ભારે ચકચાર મચી ગઈ.
પોલીસ એક્શનમાં, તપાસ તેજ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બિહાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
- લૂંટમાં વપરાયેલી કાર પોલીસના કબજામાં
- સીસીટીવી ફૂટેજની તપાસ
- ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીઓની શોધ
- ખાસ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન
સાથે જ રાજકોટથી પણ પોલીસની એક ટીમ બિહાર જવા તૈયાર છે.
ધોળે દિવસે આ રીતે ફિલ્મી ઢબે બનેલી લૂંટે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને સોનાં-ચાંદીના વેપારીઓમાં હવે ડિલિવરીની સુરક્ષા અંગે ચિંતાનો માહોલ છે.
