નોઈડા આંદોલન: યોગી સરકારનો મોટો નિર્ણય
Noida, 14 April, 2026: નોઈડા અને ગ્રેટર નોઈડામાં મજૂરો દ્વારા શરૂ કરાયેલ વેતન વધારાની માંગનું આંદોલન હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. સોમવારે શરૂ થયેલ આ પ્રદર્શન ઝડપથી હિંસક બન્યું, જેમાં હજારો મજૂરો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ, વાહનો સળગાવાયા અને પથ્થરમારો કરવામાં આવ્યો.
આંદોલનનો આરંભ મજૂરોની વેતન વધારાની માંગથી થયો હતો. અંદાજે 40,000થી વધુ મજૂરો શહેરના 80 જેટલા વિસ્તારોમાં એકત્ર થયા હતા. શરૂઆતમાં શાંતિપૂર્ણ પ્રદર્શન હતું, પરંતુ બાદમાં કેટલીક અસામાજિક તત્વોએ પરિસ્થિતિને બગાડી દીધી. સેક્ટર 63 અને ફેઝ-2 જેવા વિસ્તારોમાં ખાસ કરીને હિંસક ઘટનાઓ સામે આવી. પ્રદર્શનકારીઓએ વાહનો અને સરકારી સંપત્તિને આગ ચાંપી, જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને વિખેરવાની કાર્યવાહી કરી.
આ ઘટનાઓ બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી . 300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી અને 100થી વધુ લોકોને પૂછપરછ માટે ડિટેઇન કરવામાં આવ્યા છે. CCTV ફૂટેજના આધારે અન્ય શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે કેટલાક “બહારના તત્વો”એ મજૂરોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો અને પાકિસ્તાન સાથેના સંભવિત સંબંધોની પણ તપાસ ચાલી રહી છે.
મજૂરોની મુખ્ય માંગણીઓ : મજૂરો દ્વારા ઉઠાવવામાં આવેલી મુખ્ય સમસ્યાઓ આ મુજબ છે:
- ઓછામાં ઓછું ₹20,000 માસિક વેતન
- ફેક્ટરીઓમાં સરકારી વેતન દર જાહેર કરવાની માંગ
- સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ મજૂરોને સમાન ભથ્થાં આપવાના મુદ્દા
- 9 મહિના બાદ નોકરીમાંથી કાઢી ફરી ભરતી કરવાની પ્રથા
- ટ્રેનિંગ દરમિયાન ₹90 પ્રતિ કલાકથી ઘટાડીને ₹50 પ્રતિ કલાક વેતન
યોગી સરકારે લઘુત્તમ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરીને આંદોલન થાળે પાડવાની કોશિશ કરી . આંદોલનને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે લઘુત્તમ વેતનમાં વધારો જાહેર કર્યો છે, જે 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે.
નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદ માટે:
- અનસ્કિલ્ડ મજૂર: ₹11,313 → ₹13,690 (₹2,377 વધારો)
- સેમી-સ્કિલ્ડ મજૂર: ₹12,445 → ₹15,059 (₹2,614 વધારો)
- સ્કિલ્ડ મજૂર:₹13,940 → ₹16,868 (₹2,928 વધારો)
અન્ય મહાનગરપાલિકા વિસ્તારો:
- નવા વેતન: ₹13,006 થી ₹16,025
- અંદાજે ₹1,600 થી ₹2,000 સુધીનો વધારો
અન્ય જિલ્લાઓ:
- નવા વેતન: ₹12,356 થી ₹15,224
- અંદાજે ₹1,000 થી ₹1,300 સુધીનો વધારો
સરકારે શું કહ્યું?
સરકારે આ નિર્ણયને “સંતુલિત” ગણાવ્યો છે. ઉદ્યોગો માટે કાચા માલના ભાવમાં વધારો અને નિકાસમાં ઘટાડો હોવા છતાં, મજૂરોને રાહત આપવા આ પગલું લેવાયું છે. સોશિયલ મીડિયા પર ₹20,000 લઘુત્તમ વેતન અંગેની અફવાઓને સરકારે નકારી છે અને લોકોને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા કહ્યું છે.
www.gujaratupdates.com
