ગજેરા ભાઈઓને ઝટકો:₹1,900 કરોડના મહાઘોટાળામાં મોટો વળાંક
ગુજરાત હાઈકોર્ટમાંથી બહાર આવેલી એક મોટી અને ચોંકાવનારી ખબરએ સમગ્ર વેપારી વર્તુળમાં હલચલ મચાવી છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને તેમના ત્રણ ભાઈઓ સામે નોંધાયેલા ₹1,928 કરોડના છેતરપિંડી અને જાલસાજીના કેસમાં હાઈકોર્ટે FIR રદ કરવાની અરજી ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિ એમ. આર. મેંગદેએ સ્પષ્ટ કહ્યું કે તપાસ હજી શરૂઆતના તબક્કામાં છે અને પ્રાથમિક દૃષ્ટિએ ગુનાહિત કૃત્યનો મજબૂત કેસ ઉભો થાય છે. ખાસ કરીને સહીની જાળસાજી કરીને શેરહોલ્ડિંગમાં ફેરફાર કરવાના ગંભીર આરોપો સામે આવ્યા છે.હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે FIR રદ કરવાની કોઈ જરૂર નથી અને તપાસ આગળ વધવા દેવી જોઈએ. મહત્વની વાત એ છે કે અદાલતે આ નિર્ણય લેતા ગજેરા ભાઈઓના ભૂતકાળના રેકોર્ડ પર આધાર રાખ્યો નથી.
શું છે સમગ્ર મામલો?
આ કેસની શરૂઆત પ્રવીણ અગ્રવાલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદથી થઈ હતી. તેઓ શાંતિ રેસિડેન્સી પ્રા. લિ.માં ભાગીદાર હતા. તેમના આરોપ મુજબ, ગજેરા ભાઈઓએ મળીને લગભગ ₹1,928.4 કરોડની રકમ ગેરરીતે કંપનીમાંથી બહાર કાઢી અને પછી ખોટા દસ્તાવેજો તથા ડિજિટલ સહીનો ઉપયોગ કરીને તેમને અને તેમના પરિવારને પાર્ટનરશિપમાંથી દૂર કરી દીધા. ફરિયાદ મુજબ, 2009માં અગ્રવાલ પરિવાર પાસે કંપનીમાં લગભગ 43% હિસ્સો હતો, પરંતુ છેતરપિંડી દ્વારા તેને ઘટાડી માત્ર 4% સુધી લાવવામાં આવ્યો. આરોપ છે કે કંપનીની મિલ્કત — ખાસ કરીને દુકાનો — બજાર ભાવ પર વેચીને મોટી રકમ ગેરરીતે ઉપાડી લેવામાં આવી.
