ઉદયપુર-અમદાવાદ-વંદે-ભારતને નવું સ્ટોપેજ
અમદાવાદ, તા. 21 માર્ચ 2026: યાત્રીઓની સુવિધા વધારવાના હેતુથી ઉદયપુર– અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને શામળાજી રોડ રેલવે સ્ટેશન પર તાત્કાલિક પ્રાયોગિક સ્ટોપ આપવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા 22 અને 23 માર્ચ, 2026થી અમલમાં આવશે. રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, ટ્રેન નંબર 26964 (આસારવા–ઉદયપુર) 22 માર્ચથી શામળાજી રોડ સ્ટેશન પર સાંજે 19:18 વાગ્યે પહોંચશે અને 19:20 વાગ્યે રવાના થશે. જ્યારેઉદયપુર– અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 26963 (ઉદયપુર–આસારવા) 23 માર્ચથી સવારે 08:28 વાગ્યે આવી 08:30 વાગ્યે પ્રસ્થાન કરશે.
આ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ (મંગળવાર સિવાય) દોડે છે અને ઉદયપુર– અમદાવાદ વચ્ચેનો અંદાજે 296 કિમીનો અંતર લગભગ 4 કલાક 15 મિનિટમાં કાપે છે. અગાઉ આ ટ્રેન ત્રણ સ્ટેશનો પર રોકાતી હતી, હવે શામળાજી રોડ સ્ટોપ ઉમેરાતા કુલ ચાર સ્ટોપ થઈ ગયા છે. અન્ય સ્ટેશનોમાં ઝાવર, ડુંગરપુર અને હિમતનગરનો સમાવેશ થાય છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ સ્ટોપ મુખ્યત્વે શામળાજી મંદિર ખાતે દર્શન કરવા આવતા ભક્તોને સુવિધા આપવા માટે શરૂ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા હાલમાં પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવામાં આવી છે અને યાત્રીઓના પ્રતિસાદના આધારે ભવિષ્યમાં તેમાં ફેરફાર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ઉદયપુર–આસારવા વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત 18 ફેબ્રુઆરી, 2026થી થઈ હતી અને તેનું સંચાલન નોર્થ વેસ્ટર્ન રેલવે ઝોન દ્વારા કરવામાં આવે છે.
