દયાબેનના પિતાનું અવસાન
Ahmedabad 07,April 2026: ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલથી ઘરે ઘરે જાણીતા બનેલા સુંદર મામા (મયુર વાકાણી) અને દયાબેન (દિશા વાકાણી) ના પિતા અને પ્રખ્યાત નાટ્યકાર તથા વરિષ્ઠ અભિનેતા ભીમ વાકાણીનું આજે અમદાવાદમાં 84 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને પેરાલિસિસ તથા ન્યુમોનિયાથી પીડાતા હતા. તેમના નિધનથી સમગ્ર કલા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ભીમભાઈ વાકાણી માત્ર એક અભિનેતા જ નહીં, પરંતુ ગુજરાતી થિયેટર જગતના મહત્વના સ્તંભ હતા. તેમણે વાકાણી થિયેટર્સની સ્થાપના કરીને અનેક નાટકોનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું. તેમની કળા અને સમર્પણના કારણે તેમણે રંગભૂમિમાં અનોખી ઓળખ ઉભી કરી હતી.ફિલ્મ જગતમાં પણ તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. લગાન જેવી ઓસ્કાર-નૉમિનેટેડ ફિલ્મમાં તેમણે કાઝી સાહેબનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત તેમણે સ્વદેશ અને લજ્જા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, જ્યાં તેમણે આમિર ખાન અને શાહરુખ ખાન જેવા દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શેર કરી હતી.
ભીમભાઈ વાકાણી તેમના સંતાનોના જીવનમાં પણ મહત્વપૂર્ણ પ્રેરણાસ્ત્રોત રહ્યા હતા. તેમની પુત્રી દિશા વાકાણી, જે લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન તરીકે જાણીતી છે, તેમને અભિનય ક્ષેત્રે આગળ વધારવામાં ભીમભાઈનો મોટો ફાળો રહ્યો હતો. નાના વયથી જ દિશાએ તેમના માર્ગદર્શન હેઠળ રંગભૂમિમાં પગલું મૂક્યું હતું. તેમના પુત્ર મયુર વાકાણી પણ આ જ સિરિયલમાં સુંદરલાલ તરીકે લોકપ્રિય થયા છે.
પરિવારજનો અને સહકલાકારો મુજબ, ભીમભાઈએ દિશાને મુંબઈમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કરી હતી, જેના કારણે તેઓ આજે ઘરઘરમાં જાણીતા બન્યા છે.
તેમના અવસાન પર દિલીપ જોષી સહિત અનેક કલાકારોએ દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો તેમના સ્મરણમાં સંદેશા મૂકી રહ્યા છે.
ભીમભાઈ વાકાણીનું જીવન અને કાર્ય ગુજરાતી રંગભૂમિ અને ભારતીય મનોરંજન ઉદ્યોગ માટે સદાય પ્રેરણારૂપ રહેશે. તેમની ખોટ ક્યારેય પૂર્ણ નહીં થઈ શકે.
www.gurjatupdates.com
