રાજુ કરપડા કરશે કેસરિયા!
Gandhinagar 09 April 2026 : ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ મોટો રાજકીય ઉલટફેર સામે આવી રહ્યો છે. ખેડૂત આગેવાન અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા આજે ભાજપમાં જોડાઈ શકે છે, જેના કારણે રાજ્યની રાજકીય ગરમાવો વધવાની પૂરી શક્યતા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, રાજુ કરપડા આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ભાજપના નેતાઓની હાજરીમાં કેસરિયો ધારણ કરશે. તેમના સાથે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને સમર્થકો પણ ભાજપમાં જોડાઈ શકે છે, જે ભાજપ માટે ગ્રામ્ય વિસ્તારોમાં મોટી રાજકીય મજબૂતી સાબિત થઈ શકે છે.
રાજુ કરપડાએ ખેડૂતોના પ્રશ્નોને લઈને અનેક આંદોલનો કર્યા છે. પાક વીમો, વીજળી સમસ્યા અને નુકસાનના વળતર જેવા મુદ્દાઓ પર તેઓ સતત સક્રિય રહ્યા છે. બોટાદ ખાતે ખેડૂત મહાસંમેલન દરમિયાન થયેલા વિવાદ અને કેસ બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ જેલ યાત્રા અને જામીન બાદ તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. આમ આદમી પાર્ટીમાં આંતરિક વિવાદો, ખાસ કરીને ગોપાલ ઈટાલિયા સાથેના મુદ્દા બાદ કરપડાએ પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ તેમણે તુલસીશ્યામથી વિસાવદર સુધી કિસાન યાત્રા યોજી પોતાની રાજકીય શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
હવે ભાજપમાં તેમની એન્ટ્રી માત્ર એક વ્યક્તિગત રાજકીય પગલું નહીં પરંતુ ચૂંટણી પૂર્વેનો મોટો સ્ટ્રેટેજિક મૂવ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મુળી બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ તેજ બની છે. રાજુ કરપડાના ભાજપમાં જોડાવાથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે, જ્યારે ભાજપને ગ્રામ્ય મતદારોમાં નવી ઉર્જા મળશે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ પરિવર્તન ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો ઉભા કરી શકે છે.
રાજકારણમાં ચાલતી પલટાની મોસમ વચ્ચે હવે સૌની નજર રાજુ કરપડાના આગામી પગલાં અને ચૂંટણી પરિણામો પર રહેશે.
www.gujaratupdates.com
