₹30 કરોડનું જમીન કૌભાંડ: બિલ્ડર ધરપકડ
Ahmedabad 13 April, 2026: અમદાવાદમાં જાણીતા બિલ્ડર સામેના જમીન કૌભાંડનો મામલો હવે વધુ ગરમાયો છે. અમદાવાદ ના પોપ્યુલર ગ્રુપ સાથે જોડાયેલા બિલ્ડર દશરથ પટેલ ને આખરે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી ફરાર રહેલા દશરથ પટેલને પોલીસે નાથદ્વારા માંથી ઝડપી પાડ્યો હતો.
આ સમગ્ર કેસ સાણંદ તાલુકાના ગોધાવી ગામમાં આવેલી અંદાજે ₹30 કરોડની કિંમતની જમીન સાથે સંબંધિત છે. ફરિયાદ મુજબ, આ જમીન મૂળ માલિકના પરિવારની હતી, પરંતુ દશરથ પટેલે કાવતરું રચીને ખોટા દસ્તાવેજોના આધારે જમીન પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ ‘સર્યુદાસ’ નામનો એક ડમી વ્યક્તિ ઉભો કરીને વારસાઈ નોંધમાં ફેરફાર કરાવ્યા હતા. ખોટી માહિતી દાખલ કરીને જમીનના હકદાર તરીકે સર્યુદાસનું નામ દાખલ કરાયું, જેના આધારે બાદમાં જમીન દશરથ પટેલ અને તેમના સાથીદારોના નામે કરી દેવામાં આવી.
દશરથ પટેલ સામે શહેર વિસ્તારમાં 6 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 મળી કુલ 8 ગુનાઓ નોંધાયેલા છે. કેસ નોંધાયા બાદ તે કાયદાકીય રાહત મેળવવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ નિષ્ફળ રહ્યો. ત્યારબાદ કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ વોરંટ જારી થતાં તે ફરાર થઈ ગયો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે LCBએ નાથદ્વારામાં તેની હાજરી ટ્રેસ કરી અને અંતે તેની ધરપકડ કરવામાં આવી.
આ કેસ 2022માં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ બાદ બહાર આવ્યો હતો. ફરિયાદી રામકૃષ્ણ આચાર્ય એ આરોપ મૂક્યો હતો કે, તેમના દાદાની જમીન ખોટા દસ્તાવેજોના આધારે કબજે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રેવન્યુ રેકોર્ડમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી, જેના આધારે બોપલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી.
કોર્ટ દ્વારા દશરથ પટેલને 4 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય SP ઓમપ્રકાશ જાટ એ જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં રેવન્યુ વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.તેમણે વધુમાં કહ્યું કે, ફરાર દરમિયાન આરોપીને આશરો આપનાર વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
www.gujaratupdates.com
