વિદ્યાર્થી પર હુમલો કેમ થયો?
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
Ahmedabad 21 April, 2026: શહેરમાં શાળાઓની સુરક્ષાને લઈને ફરી એક વખત ચિંતાજનક ઘટના સામે આવી છે. ઈસનપુર વિસ્તારમાં આવેલી ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થી પર સહપાઠી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. માહિતી મુજબ, પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો હિંસક બની ગયો હતો. આ દરમિયાન ત્રીજો વિદ્યાર્થી તેમને શાંત કરાવવા વચ્ચે પડ્યો હતો. જોકે, ઝઘડામાં સામેલ એક વિદ્યાર્થીએ પરિકર (કોમ્પાસ) વડે હુમલો કરતા મધ્યસ્થ વિદ્યાર્થીની આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી.
આંખમાં ગંભીર ઈજા, તાત્કાલિક સર્જરી
આંખમાં પરિકર વાગતા વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી અને તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરો દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલ વિદ્યાર્થીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ વચ્ચે જૂથવાદ (ગ્રુપિઝમ) વધતો જતા શાળામાં ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના બાદ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
અમદાવાદમાં થોડા મહિના પહેલા Seventh Day Adventist Schoolમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવી હતી, જેના પગલે શહેરભરમાં ભારે વિરોધ પ્રદર્શન અને શાળાઓ બંધ કરવાની નોબત આવી હતી. આ ઘટનાએ શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ બહાર લાવી હતી. ત્યારબાદ અનેક શાળાઓએ વિદ્યાર્થીઓના બેગ ચેક જેવી કડક વ્યવસ્થાઓ શરૂ કરી હતી.
શિક્ષણવિદો અને માનસશાસ્ત્રીઓના મતે, વિદ્યાર્થીઓમાં વધતો આક્રમક વલણ , સોશિયલ મીડિયા અને શાળામાં મોનીટરીંગની અછત આવી ઘટનાઓ પાછળના મુખ્ય કારણો બની શકે છે.
ઘટનાની જાણ થતા શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. શાળા પ્રશાસન પાસેથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને જવાબદાર વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવાની શક્યતા છે.
અમદાવાદમાં સતત આવી રહેલી શાળાકીય હિંસાની ઘટનાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે માત્ર અભ્યાસ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના વર્તન, માનસિક સ્વાસ્થ્ય અને શિસ્ત પર પણ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. શાળા, વાલીઓ અને પ્રશાસન વચ્ચે સંકલન વધારવું સમયની માંગ બની ગઈ છે.
www.gujaratupdats.com
