અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટ કૌભાંડ: 4 આઉટસોર્સ કર્મચારીઓ બરતરફ, ક્લાર્ક સસ્પેન્ડ
સિવિલ હોસ્પિટલ માં લિકર પરમિટ ફી સંબંધિત એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેના પગલે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. ચાર આઉટસોર્સ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે એક સરકારી ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
આ મામલો અસર્વા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા લિકર પરમિટ ઓફિસમાં ફી વસૂલાત પ્રક્રિયામાં ગડબડી સામે આવતાં પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે Shahibaug Police Station માં FIR નોંધવામાં આવી છે, જેમાં આશરે ₹1.80 લાખના ગેરવહીવટનો આરોપ છે.
કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું?
હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. જયંત નાગરદાસ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી. નિયમો મુજબ, નવો લિકર પરમિટ લેવા માટે ₹25,000 અને રિન્યુઅલ માટે ₹20,000 ફી ઓનલાઇન QR કોડ મારફતે જ ભરવાની હોય છે, જે રોગી કલ્યાણ સમિતિના એકાઉન્ટમાં જમા થાય છે.
પરંતુ આરોપીઓએ આ પ્રક્રિયા ટાળી અને અરજદારો પાસેથી રોકડમાં પૈસા વસૂલ્યા. ત્યારબાદ ખોટા રસીદ આપીને અથવા રજીસ્ટરમાં એન્ટ્રી કરીને રકમ સરકારના ખાતામાં જમા કરવામાં આવી નહોતી.
એક અરજદારે જાણકારી આપી કે તેણે રોકડમાં પૈસા ચૂકવ્યા હોવા છતાં તેની રસીદમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન આઈડી દર્શાવવામાં આવ્યો હતો. આથી શંકા ઉદ્ભવી અને તપાસ શરૂ થઈ.
તપાસમાં મોટું ગેરવહીવટ બહાર આવ્યું
મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ રજીસ્ટર અને બેંક રેકોર્ડ ચકાસ્યા. તપાસમાં જાણવા મળ્યું કે 1 જાન્યુઆરીથી 17 માર્ચ 2026 દરમિયાન ઓછામાં ઓછા 9 અરજદારોએ ₹20,000 રોકડમાં ચૂકવ્યા હતા, પરંતુ આ રકમ રોગી કલ્યાણ સમિતિના ખાતામાં જમા થઈ નહોતી.
આ અરજદારોને સંપર્ક કરીને રસીદ માગવામાં આવી, જેમાં તેમણે રોકડમાં ચુકવણી કરી હોવાની પુષ્ટિ કરી. આ રીતે કુલ ₹1.80 લાખની ગેરવહીવટ સામે આવી છે.
ધરપકડ અને કાનૂની કાર્યવાહી
પોલીસે આ મામલે ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે ,સિનિયર ક્લાર્ક ,2 આઉટસોર્સ કર્મચારી, બે અન્ય લોકોની સંડોવણી પણ સામે આવી છે અને તેમની સામે કાર્યવાહી થવાની શક્યતા છે.આ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(4), 316(5) અને 54 હેઠળ ગુનો નોંધાયો છે.
હોસ્પિટલ દ્વારા તપાસ કમિટી રચાઈ
હોસ્પિટલ તંત્રએ પાંચ સભ્યોની તપાસ સમિતિ રચી છે. આ સમિતિ બેંક એકાઉન્ટ, રજીસ્ટર અને તમામ દસ્તાવેજોની વિગતવાર તપાસ કરશે.
ડૉ. જોષીએ જણાવ્યું હતું કે ચાર મહિના પહેલા પારદર્શિતા માટે QR કોડથી ચુકવણી સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી અને રોકડ ચુકવણી ન કરવા સૂચના આપવામાં આવી હતી. છતાં આ ગેરરીતિ કરવામાં આવી હતી.
પોલીસ અને હોસ્પિટલ બંને દ્વારા અલગ-અલગ તપાસ ચાલી રહી છે. વધુ અરજદારો સાથે પણ આવી જ છેતરપિંડી થઈ છે કે નહીં તે જાણવા માટે ડિજિટલ અને દસ્તાવેજી પુરાવાની તપાસ થઈ રહી છે.
