વડોદરા-ભરૂચ હાઇવે પર મોંઘી મુસાફરી: કાર ચાલકોને રાહત, ટ્રક-બસમાં ખર્ચ વધશે
વડોદરા-ભરૂચ માર્ગ પર મુસાફરી મોંઘી: ભરથાણા ટોલ પ્લાઝા પર ૧ એપ્રિલ, 2026 થી નવા દરો અમલમાં
વડોદરા , 28 March, 2026: રાષ્ટ્રીય રાજમાર્ગ-૪૮ પર આવેલ વડોદરા-ભરૂચ વચ્ચેનો વ્યસ્ત ભરથાણા ટોલ પ્લાઝા ૧ એપ્રિલ, ૨૦૨૬થી નવા ટોલ દરો સાથે કાર્યરત થશે. નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) દ્વારા દર વર્ષે કરવામાં આવતી વાર્ષિક સમીક્ષા અંતર્ગત આ વધારો જાહેર કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કાર અને જીપ માટેનો ટોલ દર યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય તમામ કેટેગરીના વાહનો માટે વધારો લાગુ થશે.
ભરથાણા ગામ નજીક, કરજણ તાલુકામાં આવેલ આ ટોલ પ્લાઝા મુંબઈ-દિલ્હી હાઇવે પરનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે, જ્યાં દૈનિક હજારો વાહનોની અવરજવર રહે છે. ઊંચી ટ્રાફિક અને વ્યૂહાત્મક સ્થાનને કારણે આ ટોલ પ્લાઝા દેશના સૌથી વધુ આવક આપતા ટોલોમાં સ્થાન ધરાવે છે. સરકારી આંકડા મુજબ, વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન અહીંથી રૂ. ૪૭૨ કરોડથી વધુની વસુલાત થઈ હતી.
સુધારેલા ટોલ દરો (૧ એપ્રિલ ૨૦૨૬થી)
| વાહન પ્રકાર | હાલનો દર | નવો દર |
|---|---|---|
| કાર / જીપ | ₹155 | ₹155 |
| મીની બસ / LCV | ₹250 | ₹255 |
| ટ્રક / બસ | ₹520 | ₹530 |
| ત્રણ એક્સલ | ₹565 | ₹580 |
| ચારથી છ એક્સલ | ₹815 | ₹835 |
નવી દરવધારા મુજબ લાઇટ કોમર્શિયલ વાહનોમાં ₹5નો અને ભારે વાહનોમાં ₹10થી ₹20 સુધીનો વધારો નોંધાયો છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.
સ્થાનિક સ્તરે અસંતોષ
ટોલ દરોમાં વારંવાર થતા વધારાને કારણે કરજણ અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા વાહનોને ટોલમાં રાહત આપવા માંગ ઉઠાવવામાં આવી છે. કેટલીક સંસ્થાઓએ ટોલ કોન્ટ્રાક્ટની મુદત પૂર્ણ થયા પછી પણ વસુલાત ચાલુ હોવાના આક્ષેપો કર્યા છે.
આધુનિક સુવિધાઓ તરફ પ્રયાણ
ટોલ વ્યવસ્થામાં સુધારા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) ટેકનોલોજી લાગુ કરવાની યોજના છે. આથી વાહનચાલકોને ટોલ પર થતી રાહત મળશે અને ટ્રાફિક જામમાં ઘટાડો થશે. ભવિષ્યમાં અંતર આધારિત ટોલ સિસ્ટમ પણ અમલમાં આવી શકે છે.
નિયમો અમલમાં ખામી
જોકે ટોલ પ્લાઝા મોટી આવક ઉત્પન્ન કરે છે, ત્યાં ઓવરલોડેડ વાહનોની તપાસ માટે જરૂરી વેઇંગ બ્રિજ સિસ્ટમ કાર્યરત ન હોવાના અહેવાલો સામે આવ્યા છે. નિયમ મુજબ વધારાના વજન માટે દંડરૂપે વધારાનો ટોલ વસૂલવાનો હોય છે, પરંતુ હકીકતમાં માત્ર એક્સલ આધારિત વસુલાત થતી હોવાના કારણે નિયમોના પાલન પર પ્રશ્નો ઊભા થયા છે.
આ પરિસ્થિતિ વચ્ચે, નવા ટોલ દરો લાગુ થવાથી ખાસ કરીને કોમર્શિયલ વાહનચાલકો પર આર્થિક ભાર વધશે, જ્યારે સામાન્ય કારચાલકો માટે રાહત યથાવત રહેશે.
